જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ટૂંક સમયમાં ભારત આવશે. આ પહેલાં જાપાનના પીએમએ 2018માં ભારતની મુલાકાત લીધી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે, ત્યારથી અત્યાર સુધી ક્ષેત્રીય સ્થિતિમાં નાટકીય પરિવર્તન આવ્યું છે. ટેમ્પલ યુનિવર્સિટીના ટોક્યો પરિસરમાં આંતરરાષ્ટ્રીય સંબંધના પ્રો. જેમ્સ બ્રાઉનના મતે, ભારત સાથે દ્વિપક્ષીય સંબંધ રાખવા જાપાન માટે ઘણા મહત્ત્વના છે કારણ કે, ટોક્યો સમજે છે કે તેના માટે ફક્ત અમેરિકાનો સાથ પૂરતો નથી.
જાપાન નવા સુરક્ષા સહયોગીઓ ઝડપથી વિકસાવી રહ્યું છે. આ વર્ષે બ્રિટન, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ્સ અને ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોના સૈન્ય અધિકારીઓએ જાપાનનો પ્રવાસ કર્યો છે. જાપાન ભારતને મિત્ર દેશ તરીકે મજબૂતીથી જોડવા ઈચ્છે છે. કારણ એ છે કે, ભારત વિશાળ અને ઉભરતી આર્થિક શક્તિ છે.
જાપાનની જેમ ચીન સાથે ભારતની ક્ષેત્રીય મુશ્કેલીઓ છે. ભારતીય સેનાએ ચીન સામે મોરચો ખોલી રાખ્યો છે. ચીને અરુણાચલપ્રદેશની સરહદે 100 ઘરોનું ગામ વસાવ્યું છે. આ પગલાંની નોંધ જાપાનીઝ અખબાર ‘સંકેઈ’માં મોટા પાયે લેવાઈ છે. આ રીતે જાપાન ઓકિનાવા પ્રાંતમાં નિર્જન દ્વીપો પર ચીનના દુ:સાહસને રોકવાનો પણ પ્રયાસ કરે છે. બેજિંગ આ દ્વીપસમૂહ પર દાવો કરી રહ્યું છે.
અહીં તેની નજર સમુદ્ર તળે મોજુદ કુદરતી સંસાધનોના વિશાળ ભંડારો પર છે. પાંચ વર્ષમાં ચીને આ અભિયાન તેજ કર્યું છે. ચીન સાથેની સરહદો અને તેની સાથેના ક્ષેત્રીય વિવાદો બંને દેશોને સ્વભાવિક ભાગીદાર બનાવે છે. કિશિદા ભારત આવશે, તો ચીનને ધ્યાનમાં રાખીને જાપાન અને ભારત બેજિંગની બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ પહેલના વિકલ્પ તરીકે પાયાના માળખાના પ્રોજેક્ટમાં સહભાગી બની શકે છે.