રાજકોટ, તા. ૦૭ ફેબ્રુઆરી – રાજકોટ શહેરમાં ગત તા. ૦૪ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ ‘‘વિશ્વ કેન્સર દિવસ’’ નિમિત્તે નવજીવન ટ્રસ્ટ તથા એસ.એન. કણસાગરા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે કેન્સર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની શરૂઆત કણસાગરા મહિલા કોલેજથી થઇ હતી. અને સમાપન રાજકોટ જિલ્લા પંચાયત ભવન ખાતે આરોગ્ય શાખાની સામે થયું હતું.
રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.એમ.એન.રાઠોડએ રેલી સમાપન સમયે ખાસ ઉપસ્થિત રહી આ જનજાગૃતિનાં પ્રયાસમાં ભાગ લેનાર વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરી હતી. તેમજ પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી ડૉ.પી.કે.સિઘ એ પોતાના સંદેશમાં કેન્સરની સમસ્યા અને તેના પર કામ કરવાની જરુરીયાત પર ભાર આપ્યો હતો અને વધુમાં વધુ લોકો સુધી જનજાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી તથા આયુષ્માન કાર્ડ યોજના સહિત સરકારની વિવિધ આરોગ્ય સંબંધિત આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી હતી.
જનજાગૃતિ ફેલાવવાના આશયથી આ રેલી દરમિયાન પ્લે કાર્ડસ, બેનર્સ, સ્લોગન તથા લીફ્લેટ્સનું વિતરણ કરાયું હતું. રેલીમાં કણસાગરા મહિલા કોલેજનાં સમાજકાર્ય ભવનની વિદ્યાર્થિનીઓ અને નવજીવન ટ્રસ્ટનો સ્ટાફ મળી કુલ ૧૫૦ જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તકે રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના નોન કમ્યુનિકેબલ ડીસીઝ્નાં અધિકારી ડૉ. ઝલકબેન, નવજીવન ટ્રસ્ટના નિયામક ફાધર થોમસ મેથ્યુ, કણસાગરા કોલેજના આચાર્ય ડો. રાજેશ કાલરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.