કોરોના વાઇરસની મહામારી શરૂ થઈ ત્યારે એની સારવાર માટે કેવા પ્રકારની હોસ્પિટલ તેમજ આઈસોલેશન વોર્ડ ઊભા કરવાના રહેશે એ માટે કેન્દ્ર સરકારે સ્પષ્ટ ગાઈડલાઈન્સ બહાર પાડી હતી, જેમાં ઉલ્લેખ હતો કે દરેક દર્દીને અલગ રૂમ ફાળવવો અને જો એ શક્ય ન હોય તો બે દર્દી વચ્ચે ઓછામાં ઓછું 3 ફૂટ અને એ પણ ખાલી અંતર રાખવું ફરજિયાત છે. આ ઉપરાંત આ રીતે 10 દર્દીના આઈસોલેશન વોર્ડ ઊભા કરવા હોય તો ઓછામાં ઓછી 2000 સ્કવેર ફૂટની જગ્યા ફાળવવાની રહેશે.
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં એકસાથે 11 દર્દી સારવાર લઇ રહ્યા હતા તેમજ બીજાં સાધનો પણ રાખવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત આઈસીયુ વોર્ડની ઉપરના ફ્લોર અન્ય દર્દીઓ રાખવામાં આવ્યા હતા. આ સહિત કુલ 36 દર્દીને દાખલ કરાયા હતા. આ જોતાં ઓછામાં ઓછી 6000 સ્કવેર ફૂટની જગ્યા માત્ર દર્દીઓને રાખવા માટે જોઈએ, નર્સિંગ સ્ટેશન તેમજ અન્ય સાધનો રાખવા માટે અલગ જગ્યા ફાળવવાની રહે છે, પણ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આ પ્રકારની ખુલ્લી જગ્યા આઈસીયુમાં જોવા મળી ન હતી. ગાઈડલાઈન્સ મુજબ દર્દીઓને જ્યાં રખાય ત્યાં બે રસ્તા હોવા જોઈએ, પણ અહીં એક જ ગેટ હતો તેમજ ઓછી જગ્યાને કારણે આગ પણ ઝડપથી ફેલાઈ હતી એ રીતે જોતાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સના અમલમાં પણ ઘણા છીંડાઓ છે.